શૂન્યની વિશાળતા...



આર્યભટ્ટે કરેલ શૂન્યની શોધનું મહત્વ આજના સમયમાં શું છે તે મારે જણાવાની જરૂર નથી. શૂન્ય વગરના ગણિતશાસ્ત્રની કલ્પના અશક્ય છે. અથવા કોઈ અન્ય વિકલ્પની શોધ કરવી પડત. પરંતુ એક શૂન્ય એવો છે જેણે ગુજરાતી સાહિત્યને સમૃધ્ધ કર્યું છે. વાત કરું છું અલીખાન ઉસ્માન બલોચ ઉર્ફે શૂન્ય પાલનપુરીની. જેમણે ગુજરાતી ગઝલો અને કવિતાઓનું સર્જન કરીને ગુજરાતી સાહિત્યને અમુલ ભેટ આપી છે. જેનું થોડું ઘણું નુકશાન ઉર્દૂ સાહિત્યને થયું છે. શું કામ એ આગળ વાત કરીશું.

9મી ડીસેમ્બર 1922ના રોજ અમદાવાદ અને સાબરમતીની વચ્ચે આવેલા લીલાપુરમાં તેમનો જન્મ થયો હતો. બાળપણમાં જ અલીખાનને જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. અનેક વિટંબણાઓ વચ્ચે માતા નનીબીબીએ અલીખાનને ઉર્દૂ, ફારસી અને અરબી ભાષાનું શિક્ષણ આપ્યું. અલીખાન એટલે શૂન્ય પાલનપુરીના જીવનઘડતરમાં માતા ઉપરાંત ગીત સંગીતની જાણકાર તેમની ત્રણ માસી અને મામા હુસેનખાનના ભજનો અને સંગીતનો વારસો પણ મળ્યો હતો. શૂન્ય પાલનપુરીએ ઈ.સ. 1938માં ગઝલ લખવાની શરૂઆત કરી હતી. તેમની દરેક ગઝલમાં અલગ પ્રયોગની છાંટ જોવા મળે છે. આથી જ તેમની ગઝલ લોકોના હ્રદયમાં સીધી ઊતરી જાય છે.

તરંગોથી રમી લે છે, ભંવરનું માન રાખે છે
નહીંતર નાવ પોતે સેંકડો તોફાન રાખે છે

શૂન્ય પાલનપુરીની ગુજરાતી ગઝલની શરૂઆત ઈ.સ. 1940ના અરસામાં થઈ હતી. મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1940માં જૂનાગઢની બહાઉદીન કોલેજમાં એડમિશન મેળવ્યું હતું. જ્યાં તેમને ગુજરાતી સાહિત્યના  જાણીતા લેખક અને કવિ અમૃત ધાયલ સાથે પરિચય થયો. આ સમયગાળામાં ‘શૂન્ય’,‘ઘાયલ’,‘રુસ્વા’ની ત્રિપુટી વચ્ચે શેરો-શાયરીનો અનેરો નાતો બંધાયો. જે સમય જતાં વધુને વધુ ગાઢ બન્યો. આ ત્રણેય કવિઓ પાસે કાવ્ય-કંઠ-કહેણીની ખુબી હતી. જે સૌ કોઈ પાસે હોતી નથી.

શૂન્ય પાલનપુરીએ ગુજરાતી સાહિત્યને ગઝલો અને કાવ્યની રચના કરીને સાહિત્ય રસિકોને અમુલ્ય ભેટ આપી છે. પરંતુ તેનું નુકશાન ઉર્દૂ સાહિત્યના  રસિકોને થયું છે. જે અગાઉ તમને જણાવ્યું હતું. ઈ.સ.1938માં ઉર્દૂ ગઝલકારોનો જમાનો હતો. પરંતુ અમૃત ઘાયલના કહેવાથી તેમણે ગુજરાતી કવિતા અને ગઝલો લખવાનું શરૂ કર્યું. અલીખાન ઉર્ફે શૂન્ય પાલનપુરીનું ઉપનામ 'રૂમાની' હતું, ત્યારબાદ 'અઝલ' ઉપનામ ધારણ કર્યું. જ્યારે તેમણે  ગુજરાતીમાં ગઝલ લખવાનું શરૂ કર્યું ત્યારે ઘાયલ સાહેબ દ્વારા તેમને 'શૂન્ય'નું ઉપનામ મળ્યું અને જે તેમણે આજીવન રાખ્યું.

શૂન્ય પાલનપુરીએ મુંબઈ નિવાસ દરમિયાન 'મુંબઈ સમાચાર'માં પણ નોકરી કરી હતી. કહેવાય છે ને કે એક લેખકનું  જીવન ક્યારે પણ નાણાકીય રીતે સમૃધ્ધ હોતું નથી. શૂન્ય પાલનપુરીનું  જીવન પણ અભાવગ્રસ્ત દશામાં વીત્યું હતું. તેમ છતાં શૂન્ય પાલનપુરીએ પોતાના વ્યક્તિત્વ અને ખમીરમાં ક્યારેય બાંધછોડ કરી નથી. ચાર દાયકાના સર્જનકાળમાં શૂન્ય પાલનપુરીએ મોટી સંખ્યામાં અને ગુણવત્તાસભર ગઝલો આપી છે. 1952માં શૂન્યનું સર્જન, 1957માં શૂન્યનું વિસર્જન, 1964માં શૂન્યના અવશેષો,1972માં શૂન્યનું સ્મારક અને 1983માં શૂન્યની સ્મૃતિ જેવા ગઝલ સંગ્રહો મળ્યા છે.

આજના સમયમાં કવિઓની અને લેખકોની સંખ્યા વધી રહી છે. આઘુનિક જગતમાં તમામ વિચારોને અન્ય સુધી પહોંચાડવા માટે ઓપન માઈકનું પ્લેટફોર્મ મળી રહ્યું છે. શૂન્ય પાલનપુરીના સમયમાં પણ ગઝલ મંડળોની રચના કરવામાં આવતી હતી. પરંતુ શૂન્ય પાલનપુરી કોઈપણ ગઝલ મંડળો સાથે સંકળાયા નહોતા. તેમની વિશેષતાથી તેમણે પોતાનું અલગ સ્થાન સુનિશ્ચિત કર્યું હતું. વ્યાકરણની દષ્ટિએ પણ શૂન્ય પાલનપુરીની રચનાઓ શ્રેષ્ઠ છે. રદીફ અને છંદનો ઉપયોગ કેમ કરવો તે તેની ગઝલમાં બખુબી પણે જોઈ શકાય છે. તેમને પ્રયોગાત્મક ગઝલકાર પણ કહી શકાય. આજીવન ખુમારીથી જીવન જીવનાર શૂન્ય પાલનપુરીએ 17 માર્ચ 1987ના દિવસે આ ફાની  દુનિયામાંથી વિદાય લીધી. તેમનું ઉપનામ શૂન્ય હતું પરંતુ તેમની રચનાઓમાં આક્રોશ, આવેશ, મનોબળતા, પ્રેમ, હાસ્ય, કટાક્ષ તમામ ગુણો  જોવા મળતા છે. તેમની રચનાઓની ધ્વનિ વાંચનારના  કર્ણમાં અચુક સંભળાય તેવી છે. શૂન્ય પાલનપુરીની યાદગાર ગઝલ સાથે આ લેખને સમાપ્ત કરીએ..
અમે તો કવિ, કાળને નાથનારા
અમારે તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતાં નયનો,
ગમે ત્યારે હોળી, ગમે ત્યારે દિવાળી


પ્રિયંકા  પરમાર














Comments

  1. નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
    એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

શરુઆત